Sunday, March 22
Shadow

જામનગર જિલ્લામાં રવિ સિઝન માટે ૪૨૦૦ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ

જોગી ન્યુઝ, જામનગર 

   જામનગર જિલ્લામાં હાલમાં ચાલુ રવિ સિઝનમાં પાકની પરિસ્થિતિ ઘણી સારી છે, અને પાકને હાલ યુરિયા ખાતરની આવશ્યકતા રહેલી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે યુરિયાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.

    જિલ્લાના ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ મળીને ચાલુ સિઝન માટે કુલ ૪,૨૦૦ મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પુરવઠામાં વધારો કરવા માટે ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના રેક પોઈન્ટ પર ઇફકો કંપની મારફત યુરિયા ખાતરની રેક આવેલ હોય તેમાંથી જામનગર જિલ્લાને કુલ ૧૫૦૦ મે. ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવેલ છે, તેમજ ક્રિભકો કંપની મારફત પણ ૭૫૦ મે. ટન યુરિયા ખાતરની સપ્લાય થનાર છે. વધુમાં, અન્ય ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ તમામ તાલુકાઓમાં નિયમિત સપ્લાય ચાલુ છે. આમ, હાલમાં વિવિધ વિક્રેતા કેન્દ્રો ખાતે ઉપલબ્ધ ૪૨૦૦ મે. ટન યુરિયાનો જથ્થો તથા આગામી સમયમાં થનાર સપ્લાયને ધ્યાને લેતા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ યુરિયા ખાતરની અછતની શક્યતાઓ રહેલી નથી. આથી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જામનગર દ્વારા જિલ્લાના ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે યુરિયા ખાતરની અછત બાબતની અફવાઓથી દૂર રહેવા અને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી પોતાનો આધાર નંબર રજૂ કરી, ખાતર ખરીદીનું પાકું બિલ મેળવીને જ રાસાયણિક ખાતરની ખરીદી કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *